તમામ ક્રિયાઓ ગુરુહરિમય. લેખ-૧

  • પ્રસંગ : ગુરુના દર્શનનું ખેચાણ                      

                     ૦૧-૦૧-૨૦૦૦. અમદાવાદ. સંતોએ પ્રમુખસ્વામી મહારાજને  કહ્યું : “ગોંડલમાં આપને ઘનશ્યામ મહારાજે સાક્ષાત્ દર્શના આપ્યા તે પ્રસંગ સાંભળવાની ઇચ્છા છે.'

                     સ્વામી કહે : ‘આ પ્રસંગ હું દીક્ષા પછી ગોંડલ ભણવા માટે રહ્યો'તો એ વખતે બન્યો હતો. શાસ્ત્રીજી મહારાજ વિષે સ્વાભાવિક હેત ને છુટા પડેલા એટલે યાદ આવે. વળી ત્યાં મને ઘનશ્યામ મહારાજની સેવા મળેલી. ગોંડલમાં સવારે ૪-૩૦ વાગે જેતલપુર તરફથી ગાડી આવતી હતી. હું ઘણી વખત સ્વામીને યાદ કરું અને તે દિવસે એ ભ્રમણામાં સૂતો હતો. પછી જાગ્યો, નાહ્યો-ધોયો, પૂજા કરતો હતો ને કોઈકે કહ્યું કે ‘શાસ્ત્રીજી મહારાજ આવ્યા. એટલે મે પૂજા મૂકી ને દોડ્યો કે 'ક્યાં છે ?' 

                    મંદિરનાં પગથિયાં આગળ ગયો ને પૂછ્યું કે 'શાસ્ત્રીજી મહારાજ આવ્યા એ ક્યાં છે ?' તો એક માણસ ઊભો હતો. એ કહે, 'ઉપર ગયા'. એટલે હું દોડીને પગથિયાં ચઢીને ઉપર ગયો. ત્યાં ઘનશ્યામ મહારાજ સિંહાસન છે ત્યાં પોઢેલા દેખાયા . હું તેમને પગે લાગ્યો. 


                  મેં પૂછ્યું, ‘શાસ્ત્રીજી મહારાજ આવ્યા છે ?' એટલે ઘનશ્યામ મહારાજ સૂતેલા હતા તે બેઠા થયા ને કહે, ‘શાસ્ત્રીજી મહારાજ તો નીચે ગયા.' હું પાછો નીચે દોડ્યો. અક્ષરદેરીમાં જોયું, ઉતારે જોયું તો રૂમમાં કોઈ હતું નહીં.”
                વળી, કોઈએ કહ્યું, ‘દર્શન કરવા (શાસ્ત્રીજી મહારાજ) ઉપર ગયા છે.' એટલે વળી પાછો હું ત્યાં ગયો. તે સમયે ઘનશ્યામ મહારાજ પોતાના પલંગમાં પગ ઝૂલતા રાખી બેઠા હતા. બાજુમાં શાસ્ત્રીજી મહારાજ ઊભેલા હતા. મેં દર્શન કર્યા, પગે લાગ્યો. એટલે ઘનશ્યામ મહારાજ અને શાસ્ત્રીજી મહારાજે મને આશીર્વાદ આપ્યા. થોડીવાર થઈ પછી બેય એક થઈ ગયું. પછી ઘનશ્યામ મહારાજ એકલા બેઠા હતા. એટલે મને સંતોષ થઈ ગયો. સ્વામી ઘનશ્યામ મહારાજમાં સમાઈ ગયા એટલે પછી હું નીચે આવી ગયો.' 
                 સંતોએ પૂછ્યું, ‘આપને શાસ્ત્રીજી મહારાજ માટે વધારે આકર્ષણ રહ્યું એમને !' સ્વામી કહે : ‘ત્યારે નાના હતા ને હેતથી એમની સાથે જોડાયેલા એટલે દર્શનનું આકર્ષણ રહે. વધારે પડતા તો એમને જોયેલા ને ઘનશ્યામ મહારાજની પૂજા કરતો એટલે એમાં પ્રેમ ખરો. અને બેય એક થઈ ગયું પછી બીજો વિચાર રહ્યો નહીં.' 
             
             આ રીતે પ્રમુખસ્વામી મહારાજ પોતાના ગુરુમાં જોડાઈ ગયા હતા.

  • પ્રસંગ : ૨૪ કલાક ગુરુ દેખાય !!

                           ૧૧-૮-૨૦૧૭ . હ્યુસ્ટન ( અમેરિકા ). બાળદિનમાં એક બાળકે પૂછ્યું , ' સ્વામી ! અમે આંખો બંધ કરીએ ત્યારે અમને કાળુ - કાળું દેખાય છે. આપ આંખો બંધ કરો ત્યારે શું દેખાય છે ? લખી આપો. મહંતસ્વામી મહારાજે આંખો બંધ કરી આઈ પેડ પર લખ્યું : ' યોગીબાપા. ' રાત્રે ભોજન બાદ સેવકે આ વાત યાદ કરાવી પૂછ્યું , “ આપે આંખો બંધ કરી ત્યારે યોગીબાપા દેખાતા હતા ? ' સ્વામી કેફમાં કહે, ' તેઓ તો ૨૪ કલાક દેખાય છે. ” 

                           

                         ગુણાતીત સંતને ૨૪ કલાક ગુરુ દેખાય છે. આપણે પણ દિવસમાં જ્યારે સમય મળે ત્યારે વિચારવું : “ મહંતસ્વામી અત્યારે શું કરતા હશે ? ' એ રીતે દરેક કાર્યમાં તેમની સ્મૃતિ કરવી જોઈએ. વળી , જમતી વખતે : “મહારાજ જમો , સ્વામી જમો. ' સ્નાન વખતે : ‘મહારાજ ન્હાવ, સ્વામી ન્હાવ. ’ - એમ દરેક ક્રિયામાં તેમને યાદ કરવા જોઈએ.


  • પ્રસંગ : અખંડ ગુરુની યાદ 
                 ૧૪-૦૩-૧૯૮૪. વડોદરા પ્રમુખસ્વામી મહારાજને ધ્યાન વિષે પ્રશ્ન પૂછાયો ત્યારે ઉત્તરમાં સ્વામીએ જણાવ્યું કે, “જે સ્વરૂપ મળ્યું, ખાતાં-પીતાં હરતાં-ફરતાં જાણ્યું હોય, જોયું હોય તેનું જ સુખ આવે, શાસ્ત્રીજી મહારાજના જીવનચરિત્રમાં (તમને) આનંદ આવે પણ યથાર્થ ન આવે. કારણ જોયું નથી. શાસ્ત્રીજી મહારાજના જીવનમાં ‘ભગતજી ભગતજી' જ થતું. ‘ગુણાતીત ગુણાતીત' નહોતા કરતા. પ્રગટમાં જોડાય તેને કાંઇ રહેતું જ નથી. મહારાજ, સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ બધા જ તેમાં આવી જાય.” 


  • પ્રસંગઃ પોતાનું અસ્તિત્વ ભૂલી ગયા 

                     સંવત ૧૯૨૦ માં ગુણાતીતાનંદ સ્વામીના કહેવાથી બાલમુકુંદદાસ ભગતજીને આસને ગયા , પરંતુ ભગતજી સૂઈ ગયા હતા. તેથી તેમણે ૨-૩ વખત ‘ પ્રાગજી ભક્ત ઊઠો, સ્વામી બોલાવે છે. ’ એમ કહ્યું, પરંતુ ભગતજી જાગ્યા નહીં. 

                    એટલે બાલમુકુંદદાસે સ્વામી પાસે આવીને વાત કરી. એ સાંભળી સ્વામી હસ્યા અને ફરી કહ્યું, ‘ હવે જઈને કહો કે ગુણાતીત ઊઠો. ’ એ પ્રમાણે બાલમુકુંદદાસ સ્વામીએ ભગતજી પાસે જઈને કહ્યું એટલે ભગતજી તરત જ ઊઠ્યા અને સ્વામી પાસે આવ્યા. એટલે સ્વામીએ બાલમુકુંદદાસને કહ્યું, ‘ પ્રાગજી ભક્ત હવે પ્રાગજી નથી રહ્યા. એ તો ગુણાતીત થઈ ગયા છે એટલે તમે એને ‘પ્રાગજી - પ્રાગજી’ કહો, તે કેમ સાંભળે ? ’  

                   આટલી હદે ગુરુહરિમય થવાનો આદર્શ ગુણાતીત સંતોએ મૂક્યો છે .


🔵 આત્મા સુધી વિચાર પહોચી જવો જોઈએ.

                    આપણા શરીર પર વિચારોની ખૂબ જ અસર છે. ગુરુમાં જોડાવાના આપણા વિચારો એટલી હદે તીવ્ર હોવા જોઈએ કે છેક આત્મા સુધી પહોંચી જાય એટલે કે આપણી દરેક ક્રિયામાં, દરેક વિરાારમાં ગુરુભક્તિ જ ઝળકવી જોઈએ. 

                    આ દુનિયામાં અમુક વ્યક્તિને અમુક વસ્તુની લગની લાગી જાય છે, તો તેઓ તેની પાછળ ગાંડા જેવા થઈ જાય છે. એ વસ્તુ વિના તે વ્યક્તિને બીજું કાંઇ જ દેખાતું નથી. એવું આપણે થઈ જવું જોઈએ.

                     મુંબઈ. એકવાર પ્રમુખસ્વામી મહારાજની અંગત સેવામાં રહેતા યોગીચરણદાસ સ્વામીએ સ્વામીને પૂછ્યું , ‘ આપને કચારેય એમ થયું છે કે હું જ શાસ્ત્રીજી મહારાજ છું ? ' 

                    સ્વામી પ્રશ્ન સાંભળી થોડી ક્ષણ એમની સામું જોઈ રહ્યા. પછી ધીમે-ધીમે કહેવા લાગ્યા, ‘ પહેલેથી જ એમની સાથે પેલી રીતે શિષ્યભાવે રહ્યા હોઈએ એટલે એવું ન થાય, પણ જ્યારે મોટાં-મોટાં કાર્યો થાય ત્યારે એમ થાય કે મારી પોતાની તાકાત બહારની આ વાત છે. એટલે આપણામાં રહીને શાસ્ત્રીજી મહારાજે જ આ કાર્ય કર્યું છે. જ્યારે આસન કરતી વખતે હું ૐ પ્રાણાયામ કરતો હોઉં છું ત્યારે એમ અનુભવાય કે શાસ્ત્રીજી મહારાજ જ આ બોલી રહ્યા છે... ' 

                 આને કહેવાય આત્મા સુધી પહોંચી ગયેલો વિચાર.

🔵 તો પૃથ્વી પર અક્ષરધામનું સુખ. 

                 આ રીતે આખો દિવસ ગુરુહરિમય દરેક ક્રિયા થાય તો પૃથ્વી પર જ અક્ષરધામનું સુખ આવે. 

                સને ૧૯૮૮. વિદેશયાત્રા દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજ મોરેશિયસ જતા હતા. પ્લેનમાં સંતોએ પ્રશ્ન પૂછ્યો, ' અક્ષરધામનું સુખ કેવી રીતે આવે ? ' ત્યારે જવાબમાં સ્વામી બોલ્યા હતા, ‘ સત્પુરુષને પોતાનો આત્મા માની લેવો. સત્પુરુષનો વિચાર એ જ અક્ષરધામનું સુખ છે. એ વિચાર સાથે અક્ષરરૂપ માનતા જાઓ તો સંકલ્પમાત્ર (માયામાત્ર) ટળી જાય. આ વિચાર સાથે ભજન-ભક્તિ થાય તો અંગ દૃઢ થાય. એ વિના કર્યા કરીએ તો સંસ્કાર થાય પણ અંગ ન બંધાય. ’


               " ભક્તિ સંબંધિત દરેક ક્રિયા ‘હું શરીર નથી, આત્મા છું, મહંતસ્વામી મહારાજ જેવો છું - એ ભાવ સાથે અક્ષરરૂપ થઈને કરવી જોઈએ તથા મહારાજ-સ્વામીને રાજી કરવાની ભાવના સાથે જ કરવી જોઈએ. 

                 આ રીતે તીવ્રતાથી માળા ફેરવવાથી કે દંડવત્, આરતી, માનસી વગેરે કરવાથી ભગવાન અને સંતનો આનંદ અનુભવાય છે. અને વધુ ને વધુ ભક્તિ કરવાનું મન થાય છે. "


🙏Jai Swaminarayan🙏

--------------------------------------------

--------------------------------------------

👉દરરોજ આવા જ નવા-નવા જીવનમાં ઉતારવા જેવા પ્રસંગો📖 તેમજ Articals🔖માટે,

Follow  

વાતો સત્સંગની

--------------------------------------------

--------------------------------------------

Comments